મોરબીના માણેકવાડા ગામે પરણીને સાસરે ગયેલી પરિણીતાને સાસુ અને સસરાએ ત્રાસ આપતા પરિણીતાએ વર્ષ ૨૦૧૬ માં આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે મરવા મજબુર કર્યાની ફરિયાદ બાદ આ અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી સાસુ અને સસરાને કસુરવાન ઠેરવી પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે
જે કેસની પ્રાપ્ત વિગતો અનુસાર પીપળી ગામની રહેવાસી તૃપ્તિબેનના લગ્ન વર્ષ ૨૦૧૫ માં માણેકવાડા ગામના ઉમેશકુમાર ગોધવીયા સાથે થયા હતા બાદમાં તૃપ્તિબેનના સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈ લવજીભાઈ ગોધવીયાએ નાની નાની બાબતમાં મ્હેણાં ટોણા મારી ત્રાસ આપવાનું શરુ કર્યું હતું જેથી પરિણીતાએ આ અંગે તેના ભાઈ પ્રફુલભાઈ પ્રવીણભાઈ જગોદરા અને પરિવારને જણાવ્યું હતું જે અંગે માવતર પક્ષ સમજાવટ માટે જતા ૨૦૧૬ ના જુન માસમાં માવતરની હાજરીમાં જ સાસુ લાભુબેને કરિયાવર સહિતની બાબતે ઝધડો કરીને હાથ ઉપાડી લીધો હતો જે બનાવને પગલે તૃપ્તીબેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોય જેથી મૃતક તૃપ્તિબેનના ભાઈએ સાસુ-સસરા વિરુદ્ધ તૃપ્તિબેનને મરવા મજબુર કરવાની ફરિયાદ નોંધાવી હતી
જે અંગેનો કેસ મોરબીના બીજા એડીશનલ સેસન્સ જજ સી જી મહેતાની કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે પુરાવાઓ અને સાહેદોની જુબાનીને ધ્યાને લઈને સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈને પાંચ વર્ષની કેદની સજા સાથે દંડ પણ ફટકાર્યો હતો જે કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ સંજયભાઈ દવે રોકાયેલ હતા