મોરબીના સિરામિક ઝોન નજીક વસતા ગામડાઓમાં સિરામિક એકમો દ્વારા છોડવામાં આવતા દુષિત પાણીને કારણે ગામના તળાવો અને પીવાના અન્ય સ્ત્રોતના પાણી દુષિત થઈ રહ્યા છે. જે મામલે તાજેતરમાં મોરબી નજીકના પીપળી, રંગપર તેમજ બંધુનગર સહિતના ગામો જે સિરામિક ઝોનમાં આવેલા છે તેને પ્રદુષણ બોર્ડને લેખિત ફરિયાદ કરીને પ્રદુષણના પગલે રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત કર્યો હતો જે લેખિત ફરિયાદ અંગેની અરજીઓ બાદ તંત્રએ ગંભીરતા દાખવીને દોડતું થયું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. ગ્રામજનોની ફરિયાદને પગલે બુધવારે ઘૂટું રોડ પર પ્રદુષણ બોર્ડના અધિકારીઓએ સ્થળ પર બે-ત્રણ વિઝીટ કરી હતી અને સેમ્પલ લેવામાં આવ્યા હતા તો આજે ગુરુવારે પણ લખધીરપુર રોડ પર સ્થળ વિઝીટ કરીને સેમ્પલ લેવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. પ્રદુષણની ફરિયાદને પગલે છેલ્લા બે દિવસથી તંત્ર હરકતમાં આવ્યું છે અને પ્રદુષણ ફેલાવનારા સિરામિક એકમો સામે કાર્યવાહી કરી સકાય તે માટે સેમ્પલ લઈને ગાંધીનગર રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી પ્રદુષણ બોર્ડના સત્તાવાર સુત્રોએ આપી છે. જીપીસીબીના અધિકારી સુત્રેજાએ મોરબી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રદુષણની ફરિયાદ મળ્યા બાદ સ્થળ વિઝીટ કરી દુષિત પાણીના સેમ્પલ લેવાયા છે તેમજ ગાંધીનગર રીપોર્ટ કરવામાં આવ્યા છે. સેમ્પલના રીપોર્ટ સપ્તાહમાં મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.