મોરબીના દેશપ્રેમી યુવાનોએ ૯ શહીદ પરિવારોને સહાય અર્પણ કરી

મોરબીના દેશપ્રેમી યુવાનો રાત-દિવસ એક કરીને શહીદ થયેલ વીર જવાનોના પરિવારજનો માટે ફંડ એકત્ર કર્યું હતું જે તેઓએ રાજસ્થાન અને ઉત્તરાખંડનો ૩૫૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને ૯ શહીદોના પરિવારોને ઘરે જઈને તેમણે હાથોહાથ સહાય અર્પણ કરી છે. પ્રવાસ દરમિયાન શહીદોના પરિવારોની સ્થિતિ જોઈને આ યુવાનોનું હદય દ્રવી ઉઠ્યું હતું. શહીદોના પરિવારો જે મકાનમાં રહેતા હતા તે મકાનમા માત્ર ચાર દીવાલો જ હતી અને બારણા પણ ન હતા.

દેશની સેવા કાજે પોતાના પ્રાણની આહુતિ દેનાર વીર જવાનોનેના પરિવારજનો તેમની કમી હંમેશા સતાવતી રહેશે.તો શહીદોના પરિવારજનો સાથે આજે આખો દેશ ઉભો છે અને તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. શહાદત પામેલા વીર સૈનિકોની ગેરહાજરીમાં તેમના પરિવારજનોની તકેદારી રાખવી તે દેશના દરેક લોકોની ફરજ છે. આવી વિચારધારા ધરાવતા મોરબીના અજયભાઈ લોરીયાએ શહીદોના પરિવારોને સહાય તેમના ઘરે જઈને રૂબરૂ આપવાનો નીર્ધાર કર્યો હતો. જે મુજબ તેઓએ ઉત્તરાખંડ અને રાજસ્થાન જઈને નવ શહીદોના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરી હતી. આ સેવાયાત્રામા તેમની સાથે કુલદીપભાઈ વાઘડિયા, ધર્મેશભાઈ રામાણી સહિતના યુવાનો પણ જોડાયા હતા.

મોરબીના આ યુવાનોએ ૩૫૦૦ કિમીની યાત્રા કરીને રાજસ્થાનના ૫ શહીદો અને ઉત્તરાખંડના ૪ શહીદોમાં પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી પરિવારના સભ્યો સાથે થોડો સમય પણ ગળ્યો હતો. તેઓએ પુલવામાં ખાતેના આતંકી હુમલામાં શહીદ થયેલા મોહન લાલ, રોહિતાસ લાંબા, જીત રામ, ભગીરથ સિંગ, હેમરાજ મીના, નારાયણ ગુર્જર, વિરેન્દ્ર સિંગ તેમજ બાદમાં શહીદ થયેલા મેજર વિભૂતિ ધૂંડીયલ અને ચિતરેશકુમાર તીસ્તના પરિવારજનોને સહાય અર્પણ કરી હતી.

મોરબીના યુવાનોએ જે સેવાયાત્રા કરી તેમાં હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો જોવા મલ્યા હતા. ૯ શહીદોમાંથી ૭ શહીદોના પરિવારો ખૂબ કફોડી હાલતમાં જીવનનિર્વાહ કરી રહયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત આ ૭ શહીદોના પરિવારોના ઘરમા માત્ર ૪ દીવાલો જ જોવા મળી હતી. રાત્રે પરિવારના અડધા સભ્યોને બહાર સૂવું પડે છે. આમ શહીદોના પરિવારો ભારે તકલીફોનો સામનો કરીને પોતાનું જીવન જીવી રહ્યા હોવાનું પ્રત્યક્ષ રીતે મોરબીના યુવાનોએ નિહાળ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat