માળીયા(મીં) તાલુકામાં ધો. 10નું પરીક્ષા સેન્ટર હવે નહીં ઝુંટવાઈ
માધ્યમિક શાળામાં કન્યાઓનો ડ્રોપિંગ રેટ વધુ, જેને ઘટાડીશું: રાજયમંત્રી


મોરબી:માળીયા(મીં) તાલુકા પંચાયત મુકામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જ્યંતી કવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગની ઉજવણીમાં શાળાના બાળકોએ ગીતનું ગાન અને યોગ નિદર્શન કર્યા હતા. મંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, માધ્યમિક શાળાના લેવલે શાળા પ્રવેશોત્સવ ઉજ્જવવાનું મુખ્ય કારણ બાળકોમાં અને ખાસ કરીને કન્યાઓમાં ધોરણ 8 પછી થતો ડ્રોપિંગ રેટ ઘટાડવા તેમનો મુખ્ય ઉદ્દેશ છે. કન્યા ભણશે ત્યારે જ સુશિક્ષિત સમાજનું ઘડતર કરી શકશે. આ પ્રસંગે ખાસ કરીને માળીયા તાલુકાનું ધોરણ 10નું પરીક્ષાનું સેન્ટર ઝુંટવાઈ ન જાય તે હેતુથી શિક્ષક જે.પી.બલસરા અને જાગૃત નાગરિકોએ સીસીટીવી માટે રજુઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ કંપનીના ચેરમેને ડી.એસ.ઝાલા તેમજ મેનેજિંગ ડિરેક્ટર હિરેન્દ્રસિંહ ઝાલાએ તાત્કાલિક કેમેરાની ઉપલબ્ધિ કરાવી હતી. જેના અનુસંધાને દેવ સોલ્ટ કમ્પનીના જનરલ મેનેજર એ.કે. કોટેચાનું બહુમાન મંત્રીએ કર્યું હતું. આ પ્રસંગે સીઆરઆર કંપનીના ઓફીસર વિવેકભાઈ ઘૃણા, રમઝાન જેડા, અનિરુદ્ધસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંઘ જાડેજા, જિલ્લા ભાજપમંત્રી જેસંગભાઈ હૂંબલ, મામલતદાર રબારી સાહેબ, ટીડીઓ ચાવડા, માહિતી અધિકારી જાડેજા, ભાજપ મહામંત્રી હરસુખભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન, શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશભાઇ, બીઆરસી અશોકભાઈ, માળીયા નગરપાલિકા ભાજપ પ્રમુખ હનીફભાઈ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.