ગરીબોને પોતાનું આવાસ મળી રહે તેવા ઉદેશ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હાથ ધરી છે. તે આજે ગ્રામ વિકાસ અને પંચાયત રાજયમંત્રી જયંતિભાઇ કવાડીયાએ હળવદ નગરપાલિકા દ્વારા આઇ.એચ.એસ.ટી.પી. યોજના હેઠળ રૂ. ૧૪૮૫.૮૭ લાખના ખર્ચે નિર્મિત આવાસ યોજનાના લાભાર્થીઓને કુંભ અને ચાવી અર્પણ કરી હતી.
રાજયમંત્રીશ્રી કવાડીયાએ વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સ્પષ્ટ અભિગમ છે કે ર૦રર સુધીમાં દરેક ગરીબ લોકોને પોતાનું પાકુ આવાસ હોય અને આ ઉદેશ સાથે મોટા પાયે આવાસોના કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે. તેમણે આવાસના લાભાર્થીઓને આવાસમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે જાગૃતિ કેળવવા સુચન કર્યું હતુ. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી રણછોડભાઇ દલવાડીએ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર થતી સફાઇ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી વડાપ્રધાનના સફાઇ અભિયાનને સૌ સાથે મળી સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં એસ.ટી. નિગમના ડાયરેકટરશ્રી બિપીનભાઇ દવેએ પ્રસંગોચિત પ્રવચનમાં સરકારની આવાસ યોજનાની વિગતો વર્ણવી હતી.આ કાર્યક્રમમાં અજયભાઇ રાવલ, અનિલભાઇ રાવલ, વિજયભાઇ જાની, ચીફ ઓફીસર એસ.આર.રાડીયા તથા દાદાભાઇ ડાંગર અને આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.