

ભારત દેશમાં બધું જ પ્રાસંગિક છે પછી તે તહેવારોની ઉજવણી હોય કે રાષ્ટ્રભક્તિ. ૧૫ ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ગૌરવવંતી ઉજવણી કરાય છે પરંતુ બાદમાં ફરીથી રાષ્ટ્રભક્તિ માટે રાષ્ટ્રીય તહેવાર આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે. આવું જ મોરબીમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિક કહો કે વહીવટી તંત્ર જે સ્વાતંત્ર્ય પર્વમાં શાનથી તિરંગાને સલામી આપતા હોય છે તે બાદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પણ ભૂલી જતા હોય છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાદ આજે જીલ્લા સેવાસદન કચેરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ના હતો જે મામલે આખરે કલેકટરને માલૂમ પડતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને નોટીસ પાઠવીને લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર પી.એમ.દોમડીયાને નોટીસ પાઠવી જણાવ્યું છે કે જીલ્લા સેવાસદન ખાતે જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી સહિતની અન્ય જીલ્લાની વહીવટી કચેરીઓ બેસે છે. મોરબી જીલ્લા સેવાસદન બિલ્ડીંગમાં સરકારના ફ્લેગકોડ તેમજ પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રીય દ્વાજ જીલ્લાના મેજીસ્ટ્રેટ તથા જીલ્લાના વહીવટી વડા બેસતા હોય તે કચેરીના બિલ્ડીંગ પર દરરોજ દિવસના સૂર્યોદયથી સાંજના સુર્યાસ્ત સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો હોય છે. આજે તા. ૧૮ ના રોજ મોરબી જીલ્લા સેવા સદન કચેરીએ સમયસર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં વિલંબ થયો હતો અને રાષ્ટ્રધ્વજ ફ્લેગ કોડના નિયમોનો ભંગ કરેલ છે જેથી કેવા કારણસર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની રાષ્ટ્રીય કામગીરીમાં નિષ્કાળજી રાખવામાં આવી છે તે અંગે લેખિત ખુલાસો બે દિવસમાં રજુ કરવાનો રહેશે તેમજ આપની કચેરી દ્વારા આ કામગીરી કોને સોપવામાં આવી છે તે કર્મચારીઓનો પણ આ ગંભીર બેદરકારી બદલ આપણી કક્ષાએથી ખુલાસો મેળવી બે દિવસમાં રજુ કરવા જણાવવામાં આવ્યું છે તે ઉપરાંત હવે પછી મોરબી જીલ્લા સેવાસદન કચેરી ખાતે રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાનું અને સુર્યાસ્ત પછી ઉતારવાની કામગીરી કોના દ્વારા કરવામાં આવશે તે અંગે જે તે કર્મચારીને અધિકૃત ઓર્ડર આપી તે અંગેની નકલ મોકલી આપવા પણ તાકીદ કરવામાં આવી છે.
