મોરબીના લીલાપર રોડ પર ગરબીમાં ત્રણ શખ્શો ગાળો બોલતા હોય જેથી આયોજકે ગાળો બોલવાની ના કહેતા ત્રણ શખ્શોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને બાદ ધમકી આપનાર ત્રણ શખ્સોને ૧૨ જેટલા શખ્સોએ મારમાયો હતો જેમાં એક યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી મારમારી નો બનાવ હત્યામાં પલટાયો છે
બનાવની મળતી વિગત મુજબ ગત તા. ૧૩ ને શનિવારના રોજ મોરબીના લીલાપર રોડ પરના સાત હનુમાન સોસાયટીના રહેવાસી નારણ માધા ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે જયરાજ જીલુભાઈ ગોગરા, જીગો જીલુભાઈ ગોગરા, અને જયદીપ જીલુભાઈ ગોગરા એ ત્રણ શખ્શો ગરબીમાં આવીને ગાળો બોલતા હોય અને ફરિયાદી ગરબીના આયોજક હોય જેને ગાળો બોલવાની ના કહેતા છરી બતાવી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી તો સમાપક્ષે જયદીપ જીલુભાઈ ગોગરા મોરબી વાળાએ ગરબીમાં માથાકૂટ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી હરપાલસિંહ, હરદેવસિંહ, દિલીપસિંહ, પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું, દીપકસિંહ અને અન્ય છ અજાણ્યા શખ્સોએ ધોકા, પાઇપ, અને છરી વડે હુમલો કરતા તેને તથા તેના ભાઈ જયરાજને અને જીગરને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડી અને તેના ભાઈ જયરાજને વધુ ગંભીર ઇજા થતાં પેહલા મોરબી પછી રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જેથી બનાવ હત્યામાં પલટાયો છે.