માળિયાના છ પરિવારના લોકોએ ૪૮ કલાક ડબ્બામાં જ વિતાવ્યા



મચ્છુના વહેણે માળિયા પંથક અને ગ્રામ્ય વિસ્તારને તહસનહસ કરી નાખ્યું હતું. જ્યાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ વચ્ચે માળિયાના લોકોના જીવનવ્યવહાર ખોરવાઈ ગયા હતા. લોકો સુરક્ષિત આશરા માટે આમતેમ દોડતા હતા ત્યારે રેલ્વેનો એક ડબ્બો ૬ પરિવારો માટે આશ્રયસ્થાન બની રહ્યો હતો.
માળિયા પંથકમાં મચ્છુ વહેણના પાણી ભરાઈ જતા હજારો લોકો પાણીમાં ફસાયા હતા તો સમયસર નીકળી જવામાં સફળ રહેલા લોકો માટે આશ્રય મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. માળિયા પંથકના છ પરિવારના ૬૦ જેટલા સભ્યો સમયસર પાણીમાંથી નીકળી ગયા બાદ રેલ્વે સ્ટેશને પડેલા ખાલી ડબ્બામાં આશ્રય મેળવ્યો હતો. ભારે પાણીના પ્રવાહે આમેય રેલ્વે ટ્રેક ધોઈ નાખતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો જેથી સ્ટેશને પડેલી ટ્રેનના એક ડબ્બામાં છ પરિવારોએ આશરો મેળવ્યો હતો. શનિવાર અને રવિવાર એમ બે દિવસના ૪૮ કલાક સુધી આ પરિવારો માટે રેલવેનો ડબ્બો આશ્રયસ્થાન બની રહ્યો હતો જ્યાં આ પરિવારોએ રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થા કરી હતી. સોમવારે છ પૈકીના પાંચ પરિવારો હવે પાણી ઓસરવા લાગતા પોતાના ઘર તરફ રવાના થયા હતા અને કાઈ બચ્યું છે કે નહિ તે જોવા માટે ભારે પગે ચાલતા બન્યા હતા જોકે મુસીબતના ડુંગરો ખડકાયા હતા ત્યારે રેલવેના ડબ્બાએ છ પરિવારને બે દિવસ આશ્રય આપ્યો હતો જેથી આ પરિવારો હેમખેમ બચી ગયા હતા.