



રાજ્ય સરકાર દ્વારા ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ટંકારા શહેર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમ વામજાએ કૃષિમંત્રીને લેખિત રજુઆત કરી ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લાના ત્રણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા આવકારીએ છીએ. પરંતુ ટંકારા તાલુકમાં પણ ઓછો વરસાદ છે ત્યારે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. ટંકારા તાલુકામાં ખેડુંતોને ઓછા વરસાદને કારણે પોતાના પાક નિષ્ફળ ગયા છે. ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે તો આપ સત્ય હકીકત જાણી ખેડૂતોની પરિસ્થિતિ ધ્યાને લઇ ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવી છે.
તેમજ ઓછા વરસાદને કારણે માલઢોર રાખી પોતાનું ગુજરાન ચલાવતા પશુપાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો વહેલામાં વહેલી તકે ઘાસચારો અને ખાણદાણની વ્યવસ્થા અને જરૂરિયાત વાળા વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરી પશુપાલકોને મદદ કરવા પણ જણાવાયું છે. ટંકારા તાલુકામાં પાકવીમામાં ક્રોપ કટિગ વખતે સેટેલાઇટ દ્વારા પાણીની વ્યવસ્થા વાળા સર્વે નંબરની પસંદગી કરવામાં આવી છે જેને કારણે સાચા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો ન આવે તે પહેલાં ઘટતું કરવા તેમજ ટંકારા તાલુકાની જાત મુલાકાત લઈ પરિસ્થિતિનો ક્યાસ મેળવવા રજૂઆતના અંતે જણાવ્યુ હતું.



