


બાંધકામ મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હોવા છતા મોરબીમાં મંજૂરી વગર બેફામ બાંધકામ થતા હોવાથી ચીફ ઓફિસરે ત્રણ ટીમ બનાવી તેને શહેરમાં સર્વે કરવાની કામગીરી સોંપી છે. કુલ ૯ અધિકારી અને કર્મચારીઓની આ ટીમ દરરોજ શહેરભરમાં રાઉન્ડ અપ કરીને બાંધકામનો રિપોર્ટ પાલિકાને સોંપશે.
રાજ્ય સરકારે તાજેતરમાં બાંધકામની ઓનલાઈન મંજૂરી આપવાની પ્રથા અમલમાં મૂકી છે. ઉપરાંત બાંધકામની પરવાનગી લેવામાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. આમ છતાં મોરબીમાં બાંધકામ કરતા પૂર્વે લોકો મંજૂરી લેતા ન હોવાનું પાલિકા તંત્રના ધ્યાને આવ્યુ છે
મોરબીમાં ચાલતા બાંધકામ અંગેની નોંધ રાખવા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ ૩ ટીમો બનાવી છે. જેમાં દર્શનભાઈ જોશી- સિવિલ એન્જીનીયર, દિલીપભાઈ પરમાર- કલાર્ક, રમેશભાઈ ખાનજીભાઈ- પટ્ટાવાળા, એસ.આર.માથકીયા-સર્વેયર, મુકેશભાઈ એચ. દવે – કલાર્ક, અશોકભાઈ જે. ઠાકોર – પટ્ટાવાળા, જે.આર.સોરઠીયા – સર્વેયર, પરેશભાઈ કે. અંજારિયા – કલાર્ક અને ભુદરભાઈ રૂડાભાઈ – પટાવાળા સહિતની ટીમ બનાવવામાં આવી છે.આ ટીમો ૧૨૫ ચો.મીટરથી વધુનું નવું બાંધકામ, પાયાનું ખોદાણ તેમજ જૂનું બાંધકામ પાડવાની કાર્યવાહી થતી હોય તેનો સર્વે કરશે. આ ટીમને આગામી ૩૦ દિવસ સુધી જે તે વિસ્તારો સોંપવામાં આવ્યા છે. વોર્ડ વાઇઝ આ ટિમો રાઉન્ડ અપ કરશે અને તેનો પાલિકામાં રિપોર્ટ આપશે.

