


મોરબીના સામાકાંઠે આવેલી પુર અસરગ્રસ્ત સોસાયટીના લોકોને પ્લોટ બાબતે ખાતરી આપવામાં આવી હતી જોકે લાભાર્થીઓને હજુ સુધી પોતાનો હક મળ્યો ના હોય જેથી ધારાસભ્યએ આ મામલે રજૂઆત કરી છે
મોરબીના સામાકાંઠે આવેલી અરૂણોદય, રીલીફનગર, રોટરીનગર, રામકૃષ, જનકલ્યાણ, વર્ધમાન નગર અને ન્યુ રીલીફ વિસ્તારમાં ૧૫૦૦ જેટલા મકાનો આવેલ છે જે મકાનો જે તે વખતે પાવર ઓફ એટર્નીથી અપાયેલા છે મચ્છુ પુર હોનારતના લાભાર્થીઓને અપાયેલ આ મિલકતની તબદીલી અને વેચાણ બાબતની આ વિસ્તારના રહીશોની માંગણીઓ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી
ગત વિધાનસભા ચુંટણી સમયે ૧૮-૧૦-૧૭ ના રોજ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના ઠરાવનો જીલ્લા મહેસુલી તંત્ર અમલ કરવામાં ઠાગાઠૈયા કરે છે ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ અંગે કલેકટરને રજૂઆત કરીને પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે તેવી માંગ કરી છે અને જો સમયસર આ પ્રશ્ન નહિ ઉકેલાય તો અસરગ્રસ્ત રહીશોને સાથે રાખીને કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેમ પણ જણાવ્યું છે.

