

ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે અને ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં મોરબી જીલ્લાના નાગરિકોને સનસ્ટ્રોક (લુ) થી બચવા માટેની માર્ગદર્શિકા આરોગ્ય તંત્રએ જાહેર કરી છે
મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમાં ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો માથું ઢંકાય તેમ ઉપયોગ કરવો. ઘરની બહાર જવાનું થાય તો આખું શરીર ઢાંકવું અને માથું ખુલ્લું ના રહે તેની કાળજી લેવી. સીધા સૂર્યપ્રકાશથી બચવું અને દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું. દીવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, પ્રવાહી પીવું શક્ય હોય તો લીંબુ સરબત પીવું. ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું અને જરૂર જણાયે અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો અને અશક્ત તેમજ બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
તે ઉપરાંત ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ના રહેવું ઉનાળાની ઋતુ દરમિયાન બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહિ, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો તથા સામાજિક પ્રસંગે દૂધ, માવામાંથી બનેલ ખાદ્ય પદાર્થો તથા ખુલ્લા કે પડતર રહેલા ખાદ્ય ખોરાક ખાવા નહિ માથાનો દુખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તુરંત નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવો તેમ માર્ગદર્શિકામાં જણાવ્યું છે