

પાટીદાર અનામત આંદોલનમાં કન્વીનર હાર્દિક પટેલ રવિવારે ફરીથી મોરબી આવશે. પાસ અગ્રણી નીલેશ એરવાડિયાના ઘરે બેસાડેલ ગણપતિ હાર્દિકની જેલમુક્તિ બાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે હવે હાર્દિકની ઉપસ્થિતિમાં ગણેશ વિસર્જન કરાશે.
અનામત આંદોલન સમયે હાર્દિક પટેલને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો તેની સાથે નીલેશ એરવાડિયા સહિતના પાટીદાર યુવાનો જેલમાં હોવાથી નીલેશ એરવાડિયાના ઘરે સ્થાપન કરાયેલ ગણપતિ તમામ આંદોલનકારીઓ મુક્ત ના થાય ત્યાં સુધી વિસર્જન નહિ કરવાનું નક્કી કરાયું હતું અને હવે તમામ આંદોલનકરીઓ જેલમુક્ત છે ત્યારે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં અન્ય પાસ કન્વીનરી તેમજ નીલેશ એરવાડિયા સહિતના ધામધૂમથી ગણેશ વિસર્જન કરશે. મોરબીથી હળવદ સુધી પહોંચીને ત્યાં વિસર્જન કરાશે. તેમજ હળવદમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના કન્વીનરો સભાને પણ સંબોધન કરશે. ગણેશ વિસર્જન યાત્રામાં મોરબી પાસના આગેવાનો મનોજ પનારા, સંજય અલગારી, મનોજ કાલરીયા સહિતના પણ જોડાશે તેમજ હાર્દિક પટેલની ઉપસ્થિતિને પગલે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાય તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે.