મોરબીમાં રવિવારે બુદ્ધવિહાર ધમ્માર્પણ

                 ધમ્મ વિચારધારામાં સમર્પિત ભીમ અનુયાયીઓના તન, મન અને ધનના દાન પારમિતાથી મોરબી ખાતે નિર્માણ પામેલ સમ્રાટ અશોક બૌદ્ધવિહાર હવે બૌદ્ધ ધમ્મ અનુયાયીઓને ધમ્માર્પણ થવા જઈ રહ્યું છે. બૌદ્ધો માટે શ્રદ્ધા, આસ્થા અને વંદનાનું કેન્દ્ર બનનાર આ બુદ્ધવિહાર ધમ્મના પ્રચાર-પ્રસાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

                આ પવિત્ર ધમ્માર્પણ સંસ્કાર ભીખ્ખુ પ્રજ્ઞારત્ન થેરોના પાવન હસ્તે યોજાશે. કાર્યક્રમ અંતર્ગત સવારે 9 કલાકે રોહિદાસપરા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી સમ્રાટ અશોક બૌદ્ધવિહાર સુધી ધમ્મયાત્રા યોજાશે. ત્યારબાદ સવારે 10 કલાકે મૂર્તિ પ્રતિક સ્થાપન અને દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. સવારે 10:30 કલાકે બુદ્ધ વંદના અને ધમ્મ દેશના યોજાશે, જ્યારે સવારે 11 કલાકે પ્રાસંગિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે બપોરે 12:30 કલાકે મૈત્રી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

                આ ધમ્માર્પણ સમારોહ તા. 17/05/2026, રવિવારના રોજ સવારે 9 કલાકે સમ્રાટ અશોક બૌદ્ધવિહાર, વિજયનગર, મોરબી-1 ખાતે યોજાશે. સમ્રાટ અશોક બૌદ્ધવિહાર નિર્માણ સમિતિ, મોરબી દ્વારા તમામ ધમ્મ અનુયાયીઓ, ઉપાસક-ઉપાસિકાઓ તેમજ ભીમ અનુયાયીઓને સહપરિવાર અને સ્નેહીજનો સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા મૈત્રીપૂર્ણ આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમમાં હાજરી આપનાર સૌને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા પણ વિનંતી કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.