મોરબી જીલ્લાના નવલખી બંદરે ૧૯૨ કરોડના ખર્ચે અદ્યતન જેટી બનાવવા મંજુરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મુખ્યમંત્રીએ જેટી નિર્માણના કાર્યને સૈદ્ધાંતિક મંજુરી આપી 

        માળિયાના નવલખી બંદરે નવી જેટી બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હોય જેને રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજુરી આપી છે અને ૧૯૨ કરોડના ખર્ચે અધ્યતન જેટી બનશે જેથી માળિયાના નવલખી બંદરના વિકાસમાં ચાર ચાંદ લાગી જશે અને આયાત નિકાસની વૃદ્ધિ જોવા મળશે જેથી ૫૦ કરોડની વધારાની આવક પણ રાજ્યને પ્રાપ્ત થશે તેમજ ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં રૂ. ૪૦ કરોડની સહાય નવલખી બંદરને મળશે

         રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવલખી બંદર ખાતે નવી જેટી બનાવવા માટેની દરખાસ્તને સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. આ જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રૂ. ૧૯ર.૩૩ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરશે. નવલખી બંદર ખાતે આ અંતર્ગત ૪૮૫ મીટરની નવી અદ્યતન જેટીનું બાંધકામ કરવામાં આવશે. નવલખી બંદરની પ્રવર્તમાન કેપેસિટી 8 MMTPA છે તે વધારીને 20 MMTPA કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે. આના પરિણામે બંદરની હાલની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાર્ષિક 12 MMTPA વધારો કરવાનું આયોજન છે. રાજ્યનું નવલખી બંદર 1939થી કાર્યરત છે. આ બંદરની વ્યૂહાત્મક્તાને પરિણામે આ બંદરેથી ગુજરાત, ઉત્તર ભારત, મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે.

         હાલ નવલખી બંદર પર કુલ 434 મીટર લંબાઈની જેટીઓ આવેલી છે. જેના પરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાર્ષિક 11.85 MMT કાર્ગોની હેરફેર કરે છે. ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા સાગરમાલા પ્રોજેક્ટનો પણ આ નવલખી બંદરને લાભ મળશે. તે અંતર્ગત 100 મીટરની જેટી માલસામાનના આંતરરાજ્ય દરિયાઇ પરિવહન માટે વિકસાવવામાં આવશે. નવલખી બંદર બ્રોડગેજ રેલવે તેમજ રોડથી દેશના બધા સ્થળો સાથે સારી રીતે જોડાયેલું છે તથા મોરબીમાં આવેલા ઉદ્યોગોને પણ જરૂરી ઇંધણ (કોલસો) પૂરો પાડે છે.

          આ બંદર પરથી 1939થી મીઠું, કોલસો, ખાદ્ય પદાર્થો તેમજ અન્ય બીજા માલસામાનનું વહન થાય છે. તેમાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારાને જોતા આ નવી જેટીનો મહત્તમ ફાયદો થશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડનું આ નવલખી બંદર લાઇટરેજ પોર્ટ છે તેમ છતાં તેના વ્યૂહાત્મક સ્થળને કારણે કંડલા તેમજ મુન્દ્રા બંદરને હરીફાઇ પૂરી પાડે છે. નાના વેપારીઓ, ટ્રેડર્સને માલસામાનની આયાત નિકાસ કરવા માટેની સહુલિયત સાથેનું પ્રથમ પસંદગીનું બંદર છે. મુખ્યમંત્રીએ રાજ્યના 1600 કિ.મી. સમુદ્રકિનારાને અને સાગરકાંઠે આવેલા નાના-મોટા બંદરોને આધુનિક ઢબે વિકસાવી ગુજરાતને સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાથે બંદરો-જેટીના નવિનીકરણને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતના બંદરો ની આંતર માળખાકીય સુવિધાઓ ની શ્રેષ્ઠતા ને પરિણામે ગુજરાત ના બંદરો પરથી ૨૧૭ જેટલા દેશોમાં નિકાસ થાય છે.

નવલખી બંદરના વિકાસને ધ્યાને લેતાં ભારતીય રેલ્વે દ્વારા પણ નવલખી બંદર માટે નવી રેલ્વે લાઇન નાંખીને હાલની ૬ રેક/પ્રતિદિનની ક્ષમતા વધારીને રોજની ૯ રેક કરવાની ભલામણ કરવામાં આવેલી છે. આ બંદર સુધી ભવિષ્યમાં ફોર ટ્રેક રોડ દ્વારા નેશનલ હાઇ-વે સાથે તેને જોડીને વધુ 5 MMTPA કાર્ગો હેન્ડલીંગના વધારાનું આયોજન પણ છે. એટલું જ નહિ, આ બંદરના પ્રોજેકટને ભાવિ વિકાસ માટે કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના અન્વયે ભારત સરકારની રૂ. ૪૦ કરોડની સહાય પણ મળવાની છે.

        ર૦૧૮-૧૯માં કુલ 11.85 MMT કાર્ગો હેન્ડલીંગ દ્વારા આ બંદર ઉપરથી રૂ. ૭૭.૦પ કરોડની આવક રળવામાં આવી હતી. નવલખી બંદર પર આ નવી જેટીનું નિર્માણ થવાથી રાજ્યને અંદાજે રૂ. 50 કરોડની વધારાની આવક આયાત-નિકાસ વૃદ્ધિથી મળતી થશે.

Comments
Loading...
WhatsApp chat